શું પાકિસ્તાનનું નાદાર થવાનું નક્કી? હવે શ્રીલંકાને માર્ગે

નવી દિલ્હીઃ કેટલાક મહિના પહેલાં જે સ્થિતિ શ્રીલંકાની હતી, એવી જ કંઈક સ્થિતિથી હવે પાકિસ્તાન ઝઝૂમી રહી છે. શ્રીલંકાના નાદાર થવા પાછળ સરકારની નીતિઓ જવાબદાર હતી. પાકિસ્તાનની નીતિઓથી વિશ્વમાં કોઈથી છુપાયેલી નથી. આ બંને દેશોના નેતાઓએ નક્કર પગલાં નથી લીધાં, જેનાથી દેશની આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ.

વાસ્તવમાં પાકિસ્તાનના નેતા લોન લેવા શક્ય તેટલી જગ્યાએ હાથ ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન હવે નાદાર થવાને આરે ઊભું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશની સ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. મોંઘવારી ચરમસીમાએ છે. લોકોની આવક ઘટી રહી છે. લોકોને દૈનિક ચીજવસ્તુઓ માટે જિંદગીને દાવ પર લગાડવી પડી રહી છે.

હવે પાકિસ્તાન પણ દેવાં વધારી રહ્યું છે. કેટલાય દાયકાઓથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડી રહી છે, પણ એને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. જેણે હવે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે આ સમયમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને રાજકીય નેતાઓની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો. રાજકીય અસ્થિરતા પણ પાકિસ્તાનને આર્થિક તંગીમાં ધકેલવાનું એક મોટું કારણ છે.

પાકિસ્તાનમાં રાજકીય નેતાઓ પર સૌથી વધુ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. આશરે બધા મોટા નેતાઓ પાકિસ્તાન છોડીને ભાગી જાય છે અથવા સળિયા પાછળ ધકેલાઈ જાય છે. બંને જગ્યાએ જનતાએ સરકારની સામે મોરચો માંડ્યો છે. હવે જનતામાં નેતાઓ પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. પાકિસ્તાનમાં સરકાર હવે દેશના લોકો પર નવો ટેક્સ ઝીંકી રહી છે.