શું ભાગવાની ફિરાકમાં અનિલ દેશમુખ?: EDની લુકઆઉટ નોટિસ જારી

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની સામે રૂ. 100 કરોડના મની લોન્ડરિંગ કેસમાં લુકઆઉટ નોટિસ જારી કરી છે, જેથી હવે તેઓ દેશ છોડીને ભાગી નહીં શકે. NCPના નેતા એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા અનેક સમન્સ છતાં હાજર નહોતા થયા.  

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો છે. તેમના પર પોલીસ અધિકારીઓનો ખોટો ઉપયોગ, જબરજસ્તી વસૂલાત કરવાના અને ટ્રાન્સફર-પોસ્ટિંગમાં દખલ કરવાનો આરોપ છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરી રહ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અત્યાર સુધી પાંચ વાર સમન્સ મોકલી ચૂક્યું છે, પણ તેઓ એક વાર પણ EDની સામે હાજર નહોતા થયા. સુપ્રીમ કોર્ટે પણ તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હવે એ અટકળો જોર પકડ્યું હતું કે તેઓ દેશ છોડી જવાની વેતરણમાં છે. જોકે ભૂતપૂર્વ પ્રધાને દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે કેસમાં તેમની અરજીનો સ્વીકાર કરી લીધો છે અને ટૂંક સમયમાં કોર્ટ સુનાવણી શરૂ થશે. તેમણે કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી તેઓ ED સમક્ષ હાજર થશે.

એજન્સી તપાસ દરમ્યાન રિપોર્ટ લીક કરવાને મામલે સીબીઆઇના સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારીની ધરપકડ થઈ ચૂકી છે. અભિષેક તિવારીએ દેશમુખના વકીલ આનંદ ડાગાથી લાંચના રૂપે આઇફોન લીધો હતો. આ મામલો સામે આવ્યા પછી આનંદ ડાગાની પણ ધરપકડ કરવામાં આવી છે. દેશમુખની ધરપકડ માટે ED  કેટલાંય સ્થળોએ દરોડા કરી ચૂકી છે.