‘બોમ્બ શેલ્ટર્સમાં પહોંચી જાવ’: યૂક્રેનમાંના ભારતીયોને સલાહ

નવી દિલ્હીઃ પડોશી રશિયાએ આજે સવારે લશ્કરી આક્રમણ શરૂ કર્યા બાદ યૂક્રેનમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં ભણવા કે કામસર ગયેલા ભારતીયો ફસાઈ ગયાં છે. પાટનગર કાઈવમાંની ભારતીય દૂતાવાસે યૂક્રેનમાંના ભારતીય નાગરિકોજોગ ત્રીજી વાર અપીલ બહાર પાડી છે કે તેમણે બોમ્બ શેલ્ટર્સમાં પહોંચી જવું. ભારતીય નાગરિકોને જણાવાયું છે કે, ‘યૂક્રેનમાં અમુક સ્થળોએ એર સાઈરન કે બોમ્બ ચેતવણીઓ અપાતી સાંભળી શકાય છે. ધારો કે તમે એવી કોઈ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હો તો ગૂગલ મેપ્સ પર નજીકના બોમ્બ શેલ્ટર્સની યાદી છે. એવા ઘણા બોમ્બ શેલ્ટર્સ ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોમાં છે.

યૂક્રેનમાંની ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને એમ પણ જણાવ્યું છે કે તેમણે અનાવશ્યક કામ માટે એમના ઘરની બહાર નીકળવું નહીં. દૂતાવાસ પરિસ્થિતિનો શક્ય ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. કૃપા કરીને તમારી આસપાસની પરિસ્થિતિથી વાકેફ રહો. સુરક્ષિત રહો. બિનજરૂરી રીતે તમારા ઘરની બહાર નીકળશો નહીં અને કાયમ તમારા દસ્તાવેજો તમારી પાસે જ રાખજો.

ભારત સરકારે યૂક્રેનમાંના ભારતવાસીઓ માટે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે.

1800118797 (Toll free)

+91-11-23012113

+91-11-23014104

+91-11-23017905

Fax: +91-11-23088124

Email: situationroom@mea.gov.in

નવી દિલ્હીમાં, કેન્દ્ર સરકારે વિદેશ મંત્રાલયમાં વિશેષ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે જે દ્વારા યૂક્રેનમાં ફસાયેલા નાગરિકો તેમજ ભારતમાં એમનાં સ્વજનોને માહિતી પૂરી પાડવા અને સહાયતા કરવામાં આવી રહી છે.

(તસવીર સૌજન્યઃ પીઆઈબી)