અમેરિકી જહાજ સમારકામ માટે ભારત આવ્યું છે

ચેન્નાઈઃ ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો છે. અમેરિકી નૌકાદળનું જહાજ ‘USNS ચાર્લ્સ ડ્રૂ’ સમારકામ માટે ભારત આવ્યું છે. અમેરિકન નૌકાદળનું કોઈ જહાજ સમારકામ સેવા કરાવવા માટે ભારત આવે એવું ઈતિહાસમાં પહેલી જ વાર બન્યું છે. આ જહાજ ચેન્નાઈના કટ્ટુપલ્લી શિપયાર્ડ ખાતે આજે આવી પહોંચ્યું છે.

યૂએસ નેવીએ તેના આ જહાજના સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીના જહાજવાડા (ગોદી)ને આપ્યો છે. અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક જહાજ સમારકામ માર્કેટમાં ભારતીય શિપયાર્ડની ક્ષમતાનું દ્યોતક છે. આ જહાજ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં 11 દિવસ સુધી રહેશે. ભારતમાં છ મોટા જહાજવાડા છે, જેમનું કુલ ટર્નઓવર આશરે બે અબજ ડોલર થાય છે. આ શિપયાર્ડ ભારત માટે અત્યાધુનિક જહાજો બનાવે છે અને દેશ-વિદેશના જહાજોને રીપેર પણ કરે છે.