મોદી સરકારનાં આઠ વર્ષ: આ આઠ યોજનાઓ વધુ લોકપ્રિય

નવી દિલ્હીઃ કેન્દ્રમાં મોદી સરકારને આઠ વર્ષ પૂરાં થઈ ગયાં છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મેએ એટલે કે આજે છે. ભાજપ વર્ષ 2014ની તુલનાએ વર્ષ 2019માં વધુ બેઠકો સાથે સત્તામાં પરત ફર્યો હતો. આ મોટી જીતમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં તમામ કલ્યાણકારી યોજનાઓ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારે તેમની સામે અનેક પડકારો હતા. સરકારના આ આઠ વર્ષમાં કેટલીક યોજનાઓ બહુ લોકપ્રિય રહી છે.

મોદી સરકારે દરેક પરિવારને બેન્કિંગ સિસ્ટમથી જોડવા માટે ઓગસ્ટ, 2014એ જનધન યોજનાનો પ્રારંભ કર્યો હતો. હાલ આ યોજનામાં 45 કરોડથી વધુ બેન્ક ખાતાં ખૂલી ગયાં છે. પુરુષોની તુલનાએ મહિલાઓને નામે વધુ જનધન ખાતાંઓ ખૂલ્યાં છે. દરેક પ્રકારની સબસિડીનો આ એકાઉન્ટ દ્વારા મળે છે.

કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાની નીચે રહેતા પરિવારોને ઘરેલુ રસોઈ ગેસ (LPG કનેક્શન) મફત ઉપલબ્ધ કરાવે છે. આ યોજનાનો પ્રારંભ પહેલી મે, 2016માં કરવામાં આવ્યો હતો. સરકારે એપ્રિલ, 2022 સુધીમાં નવ કરોડથી વધુ ગેસ કનેક્શન વહેંચ્યાં છે. સરકારે PMUY યોજના હેઠળ  બધા BPL તથા APL રેશન કાર્ડધારક પરિવારની મહિલાઓને રૂ. 1600ની આર્થિક મદદ કરી રહી છે.

સરકાર ખેડૂતોનાં બેન્ક ખાતાંઓમાં પ્રતિ વર્ષ રૂ. 6000 જમા કરે છે.

સરકાર આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય વીમા ઉપલબ્ધ કરાવે છે, જેમાં સરકાર દેશમાં 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને આ યોજનાનો લાભ મળશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે 1300 ગંભીર બીમારીઓની સારવાર સરકારી નહીં ખાનગી હોસ્પિટલમાં થશે. આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ બીજી ઓક્ટોબર, 2014એ ‘એક સ્વચ્છ ભારત’ રાષ્ટ્રીય આંદોલનનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત સરકારે 26 માર્ચ, 2020એ કોરોના રોગચાળામાં ગરીબ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો, જે હેઠળ સરકારનો દાવો છે કે આ યોજનાનો લાભ આશરે 80 કરોડ લોકોને મળી રહ્યો છે. આ ઉપરાંત સરકારે જળ જીવન મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરી છે.