ચીન-પાકિસ્તાનનાં જોખમોની વચ્ચે સંસ્થાઓને ખતમ ના કરોઃ બક્ષી

નવી દિલ્હીઃ દેશભરમાં જેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એ અગ્નિપથ યોજનાની સેનાના નિવૃત્ત અધિકારી જનરલ જીડી બક્ષીએ તીખી આલોચના કરી છે. કારગિલ યુદ્ધના હીરો જનરલ બક્ષીએ ચેતવણી ઉચ્ચારી હતી કે આ યોજનાનાં વિનાશકારી પરિણામો આવી શકે છે, કેમ કે ચાર વર્ષ પછી છૂટા થયેલો સૈનિક આતંકવાદી અથવા વિદ્રોહ ગ્રુપોમાં સામેલ થવાની શક્યતા છે. તેમણે ડ્યુટી મોડલમાં ઓછા અનુભવની અને સેના સાથે સાતત્યમાં જોડાણમાં ઘટાડાની વાત તેમણે કરી હતી.

ચીન અને પાકિસ્તાન તરફથી ગંભીર જોખમોની વચ્ચે ભારતે આર્મીના સંચાલનમાં ધરમૂળથી ફેરફાર કરવાનો યોગ્ય સમય નથી. ટ્વિટર પર તેમણે આ નીતિની તુલના ચાઇનીઝ પેરામિલિટરી ફોર્સ સાથે કરી હતી અને સરકારને આ યોજના પરત લેવા જણાવ્યું હતું.

મને અગ્નિવોર યોજનાથી આઘાત લાગ્યો છે. મને એમ કે આ હાલ ટ્રાયલ ધોરણે કરવામાં આવી રહ્યું છે, પણ એ ભારતીય સેનાને પેરામિલિટરી ફોર્સમાં બદલવાની તૈયારીમાં છે. તેમણે વિનંતી કરી હતી કે આવું ના કરો.

તેમણે આ યોજનાનાં જોખમો ગણાવતાં કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાનનાં જોખમોને જોતાં તમારી સંસ્થાઓને ખતમ ના કરો.સશસ્ત્ર દળો ને યુવાઓ અને અનુભવના સંયોજનની જરૂર છે.

ચાર વર્ષ જૂની સેના સુરક્ષિત કેવી રીતે હોઈ શકે? તેમણે રશિયાથી શીખ લેવાની પણ વાત કરી હતી. તમે અન્ય કોઈ માર્ગે બજેટમાં કાપ મૂકો, પણ નાણાં બચાવવા માટે સેનાના માળખાને નષ્ટ ના કરો, કેમ કે સંરક્ષણ બજેટને GDPના ત્રણ ટકા સુધી વધારો, એમ તેમણે કહ્યું હતું.