નવી દિલ્હી – કેન્દ્ર સરકારે તમામ બેન્ક ખાતાંઓ તથા ચોક્કસ પ્રકારના નાણાકીય સોદાઓ માટે આધાર કાર્ડ નંબર અને PAN કાર્ડ નંબર દર્શાવવાનું ફરજિયાત બનાવવાની ડેડલાઈનને આવતા વર્ષની 31 માર્ચ સુધી લંબાવી છે. આ મહેતલ પહેલાં 31 ડિસેમ્બર, 2017 સુધીની હતી.
સરકારે અગાઉ એવી જાહેરાત કરી હતી કે રૂ. 50 હજાર તથા એનાથી વધુની રકમના કોઈ પણ નાણાકીય સોદાઓ માટે તે ઉપરાંત જૂના તથા નવા બેન્ક એકાઉન્ટ્સ માટે 12-અંકવાળા બાયોમેટ્રિક ઓળખ દર્શાવતા આધાર કાર્ડ નંબરને જોડવાનું/દર્શાવવાનું ફરજિયાત છે અને આ નંબરને જોડવાની મહેતલ 31 ડિસેમ્બર, 2017 સુધી આપી હતી.
હવે એક સત્તાવાર યાદી દ્વારા સરકારે જણાવ્યું છે કે આધાર નંબર અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા ફોર્મ-60 સંબંધિત સત્તાવાળાઓને સુપરત કરવા માટેની મહેતલને 2018ની 31 માર્ચ અથવા ગ્રાહકના એકાઉન્ટ બેઝ્ડ સંબંધની આરંભિક તારીખથી છ મહિના સુધી, બેઉમાંથી જે પાછળ હોય એ તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનેક બાજુએથી કરાયેલી રજૂઆતો તેમજ બેન્કો તરફથી મળેલી જાણકારીના આધારે આધાર લિન્કની મહેતલને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નાગરિકો અનેક પ્રકારની સરકારી સેવાઓ તેમજ સુખાકારી યોજનાનો લાભ લઈ શકે એ માટે આધાર નંબરને જોડવાનું ફરજિયાત કરતી ડેડલાઈનને 31 માર્ચ, 2018 સુધી લંબાવવા પોતે તૈયાર છે.
PAN અને આધાર નંબરને જોડવાની ડેડલાઈનને પણ ગયા અઠવાડિયે 31 માર્ચ, 2018 સુધી લંબાવી દેવામાં આવી હતી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)