INDIA ગઠબંધનમાં તિરાડઃ મમતા બેઠકમાં સામેલ નહીં થાય

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસ પાર્ટી ગઠબંધન પક્ષોના નિશાના પર છે. તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજે સ્પષ્ટ કહ્યું હતું કે આ હાર જનતાની નથી, પરંતુ કોંગ્રેસની છે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની સાથે સીટ વહેંચણીની વ્યવસ્થામાં ગેરવહીવટ થવાને કારમે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ચૂંટણી હારી ગઈ છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેલંગાણા જીત્યું છે, પણ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હારી ગઈ છે, એનું મોટું કારણ ગઠબંધન પક્ષોમાં મતો વહેંચાઈ ગયા છે. અમે સીટ વહેંચણીની વ્યવસ્થાનું સૂચન કર્યું હતું, પણ વહેંચણી મતોની થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે વિચારધારાની સાથે-સાથે તમારે વ્યૂહરચનાની પણ જરૂર છે. જો સીટ વહેંચણીની વ્યવસ્થા હશે તો ભાજપ 2024માં સત્તામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પહેલાં મળીને કામ કરશે અને ભૂલો સુધારશે.

ત્રીજી ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થતાં ગયાં તેમ-તેમ ગઠબંધનના સહયોગી પક્ષોએ કુધને દૂર કરવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી. JDUના કેસી ત્યાગીએ કહ્યું હતું કે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનની અન્ય પાર્ટીઓને નજરઅંદાજ કરી હતી. CPM નેતા પી. વિજયને કહ્યું હતું કે હિન્દી ભાષી પટ્ટામાં ભાજપથી મુકાબલો કરતા સમયે સાથે મળીને લડવું જરૂરી છે.

દેશની 26 પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ લોકસભા ચૂંટણી 2024ની વ્યૂહરચના નક્કી કરશે અને છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હીમાં બેઠક કરશે. જોકે આ ગઠબંધનમાં પશ્ચિમ બંગાળના વડાં મમતા બેનરજી સામેલ નહીં થાય.