કોવિડ-19: ભારતીય નૌસેના દ્વારા શરુ થયું ઓપરેશન ‘સમુદ્ર સેતુ’

નવી દિલ્હી: વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો 8 મે થી શરુ થશે જેમાં ઈન્ડિયન નેવીના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.

વિદેશમાં વસતા ભારતીયો પર કોવિડ-19 ના રોગચાળાની શું અસર છે એ સ્થિતિ પર સરકાર ખૂબ ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારતીય નૌકાદળને સમુદ્ર માર્ગે ભારતીયોને પાછા લઇ આવવા માટે યોગ્ય તમામ તૈયારીઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રિપબ્લિક ઑફ માલદીવ્સ સ્થિત ‘ધ ઇન્ડિયન મિશન’ ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે. ‘ધ ઇન્ડિયન મિશન’ જરૂરી મેડિકલ સ્ક્રીનીંગ બાદ આ ભારતીયોને જહાજ પર સરળતાથી પહોંચાડવામાં પણ મદદ કરશે. પહેલી યાત્રામાં કુલ ૧ હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાઈરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે.

જહાજને આ આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. માલદીવ્સથી છોડાવવામાં આવેલા ભારતીયોને દરિયાઇ સફર દરમિયાન સંપૂર્ણ પાયાની સુવિધાઓ તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોવિડ-૧૯ સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

છોડાવવામાં આવેલા ભારતીયોને કેરળના કોચી ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે.