કોરોનાના રેકોર્ડ 69,878 નવા કેસ, 945નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 69,878 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં એક દિવસમાં આવનારા સૌથી વધુ કેસો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 945 લોકોનાં મોત થયાં છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 29,75,701 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 55,794 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 22,22,577 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,97,330 પહોંચી છે. રિકવરી રેટ વધીને 74.69એ પહોંચ્યો છે.  દેશમાં સક્રિય કેસની 23.45 ટકા છે અને મૃત્યુદર 1.90 ટકા છે.

બે વર્ષથી ઓછા સમયમાં ખતમ થશે બીમારી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું માંનવું છે કે બે વર્ષથી ઓછા સમયમાં આ રોગચાળો ધરતી પરથી ખતમ થશે. WHOને આશા છે કરે કોવિડ-19 સ્પેનિશ ફ્લુથી ઓછા સમયમાં ખતમ થઈ જશે. સંસ્થાના પ્રમુખ ટેડરોસ અધાનોમ ઘેબ્રેસિસે કહ્યું હતું કે અમને આશા છે કોરોના રોગચાળાને ખતમ થતાં બે વર્ષ લાગશે.

વિશ્વમાં 2.30 કરોડ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં અત્યાર સુધી 2.30 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 7,93 લાખથી વધુનાં મોત થયાં છે. જોકે આ બીમારીથી ઠીક થવાવાળા લોકોની સંખ્યા 1.56 કરોડને પાર પહોંચી છે. જોકે હજી 66-05 લાખ સક્રિય કેસ છે.

અમેરિકામાં 57 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

અમેરિકા કોરોના સંક્રમિત કેસોને મામલે પહેલા સ્થાને છે. અત્યાર સુધી અહીં 57 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને 1128 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં 24 કલાકમાં 31,000 નવા કેસ નોંધાયા છે.

3.44 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 21 ઓગસ્ટે દેશમાં 10,23,836 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 21 ઓગસ્ટ સુધી કુલ 3,44,91, 072 લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.