શાહીનબાગના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ભાજપ સાંસદનું નિવેદન

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને એક કલાકમાં હટાવી શકાય છે. તેમણે કહ્યું કે, જો ભાજપની સરકાર અહીંયા બને તો સરકારી જમીન પર બનેલી મસ્જિદોને એક મહિનામાં દૂર કરી દઈશું. સાંસદે કહ્યું કે, આ માત્ર એક ચૂંટણી નથી પરંતુ દેશની એકતા પર નિર્ણય કરવાનો સમય છે. જો ભાજપ 11 ફેબ્રુઆરીના રોજ સત્તામાં આવશે તો આપને એક કલાકની અંદર ત્યાં એક પણ પ્રદર્શનકારી નહી દેખાય. એક મહિનાની અંદર સરકારી જમીન પર બનેલી એક પણ મસ્જિદને અમે નહી છોડીએ. પશ્ચિમ દિલ્હીથી સાંસદ વર્મા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વિકાસપુરીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. વર્માએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ કહે છે કે હું શાહીનબાગની સાથે છું. દિલ્હીની પ્રજા જાણે છે કે એક આગ થોડાંક વર્ષો પહેલાં કાશ્મીરમાં લાગી હતી. ત્યાં કાશ્મીર પંડિતોની બહેન-દીકરીઓની સાથે રેપ થયો હતો. ત્યારબાદ આ આગ યુપી, હૈદ્રાબાદક, કેરળમાં લાગતી રહી. તેમણે આગળ કહ્યું કે આજે એ આગ દિલ્હીના એક ખૂણામાં લાગી ગઇ છે. ત્યાં લાખો લોકો એકત્ર થયા છે અને આગ દિલ્હીના ઘરો સુધી પહોંચી શકે છે. દિલ્હીના લોકોને સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે. આ લોકો ઘરમાં ઘૂસશે. તેમની બહેન-દીકરીઓને ઉઠાવશે, રેપ કરશે, તેમને મારે. આથી આજે સમય છે. કાલે મોદી અને અમિત શાહ બચાવા આવશે નહીં.

ભાજપ સાંસદે કહ્યું કે શાહીન બાગમાં કયા લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને કોણ સમર્થન આપી રહ્યું છે બધાને ખબર છે. તેમણે કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો અમે એક કલાકમાં શાહીન બાગને ખાલી કરાવી દઇશું. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે હું કોઇપણ સૂરતમાં નિવેદન પાછું લઇશ નહીં અને નજફગઢમાં આજે ચૂંટણી પ્રચાર કરતાં પણ તેને ફરીથી કહી રહ્યો છું.

ભાજપ સાંસદે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન ગોળી મારો…નો પણ બચાવ કર્યો. તેમણે એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં કહ્યું કે દેશના ગદ્દારોને ગોળી મારવાની વાત કહી છે. તેમણે કહ્યું કે દેશની પ્રજાની ભાવના છે કે ગદ્દારોને છોડવામાં આવે નહીં. આ હું નથી કહી રહ્યો આ દેશની પ્રજા કહી રહી છે. તમે દેશની પ્રજાને જઇ પૂછો કે તેમનું શું માનવું છે.