ખાવાની સ્ટાઈલથી જ સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે: કૈલાશ વિજયવર્ગીય

ઇન્દૌર: નાગરિક સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં સામેલ લોકોને લઈને વડાધાન નરેન્દ્ર મોદીના ‘કપડાથી ઓળખવા વાળા નિવેદન પછી હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય એ વિવાદિત નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે. વિજય વર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં #Poha જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે.

ઇન્દૌર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાંક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌઆ ખાઇ રહ્યા હતા. મેં તેમના સુપરવાઈઝર સાથે વાતચીત કરી અને પૂછયું કે શું આ બાંગ્લાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં.

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આ કેસમાં મેં હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. હું માત્ર આ ઘટનાનો ઉલ્લેખ કરીને તમને બધાને જણાવા માંગુ છું. આ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે. હું જ્યારે બહાર જઉં છું તો મારી સાથે 6 સુરક્ષાકર્મી હોય છે, કારણ કે ઘૂસણખોરો દેશનો માહોલ બગાડી રહ્યા છે. CAA ના સમર્થનમાં બોલતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અફવાઓથી ગુમરાહ ના થાઓ, સીએએમાં દેશનું હીત છે. આ કાયદા હેઠળ વાસ્તવિક શરણાર્થીઓને નાગરિકતા આપીશું અને ઘૂસણખોરોની ઓળખ થશે.

અગાઉ ઝારખંડમાં એક ચૂંટણી રેલની સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, આ કોંગ્રેસ અને તેના સાથીઓ હલ્લાબોલ મચાવી રહ્યા છે. તોફાન ઉભી કરી રહ્યા છે. તેમની વાત ચાલતી નથી તો તેઓ આગ ફેલાવી રહ્યા છે. તેઓ જે આગ લગાવી રહ્યા છે ટીવી પર જે તેમના દ્રશ્યો આવી રહ્યા છે, આ આગ લગાવનારા કોણ છે, તેમના કપડાં પરથી જ ખબર પડી જાય છે.