શું કોવિડ-19થી ખેડૂતો સુરક્ષિત છે?: SCનો સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રોગચાળા વચ્ચે ત્રણે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનમાં ખેડૂતો માટે ચિંતા દર્શાવતાં કેન્દ્રને પૂછ્યું હતું કે શું ખેડૂતો કોરોના સંક્રમણથી સુરક્ષિત છે? તબલિગી જમાતનો હવાલો આપતાં કોર્ટે કહ્યું હતું કે કોરોના પર નિયંત્રણ મેળવવા માટે ગાઇડલાઇન્સનું પાલન થવું જોઈએ. કોર્ટે કેન્દ્રને નેટિસ જારી કરતાં બે સપ્તાહમાં જવાબ માગ્યો હતો.

મુખ્ય જસ્ટિસ (CJI) એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની બનેલી પીઠે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં ફરી એ જ સ્થિતિ ઊભી થવાની છે. અમે જાણતા નથી કે ખેડૂતોને કોવિડના સંક્રમણી બચાવવા માટે શાં પગલાં લેવામાં આવ્યા છે અને એ માટે શા દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે?

શું તમે (જમાત) એ ઘટનાથી કોઈ અનુભવ લીધો છે? શું તમને માલૂમ છે કે એ કેવી રીતે થયું?  આ પીઠમાં જસ્ટિસ એસએ બોપન્ના, વી. રામસુબ્રમણિયન સામેલ છે. આ સવાલો કોર્ટે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાને કર્યા હતા.

મહેતાએ પીઠને કહ્યું હતું કે જમાતની સામે દિલ્હી પોલીસ દ્વારા હજી તપાસ ચાલી રહી છે. દિલ્હીની બોર્ડરે હજારો ખેડૂતો 26 નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. આ અરજી જમ્મુ સ્થિત વકીલ સુપ્રિયા પંડિતાએ દાખલ કરી હતી. પંડિતાના વકીલ ઓ. પી. પરિહારે તબલિગી જમાતનો હવાલો આપતાં કહ્યું હતું કે જમાતના પ્રમુખ મૌલાના સાદની હજી સુધી ધરપકડ નથી કરવામાં આવી. પીઠે કહ્યું હતું કે અમનો એક વ્યક્તિમાં રસ નથી. અમે એ ખાતરી કરવા માગીએ છીએ કે કોવિડની ગાઇડલઇન્સનું પાલન થઈ રહ્યું કે નહીં.