નફરતની આગે દેશને ભરડો લીધો છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં લખેલા એક લેખમાં એવો આક્ષેપ કર્યો છે કે નફરત, કટ્ટરતા, અસહિષ્ણુતા, જુઠાણાએ દેશને ભરડો લીધો છે. જો આને હમણાં જ રોકી દેવામાં નહીં આવે તો સમાજને સુધારી નહીં શકાય એટલી હદે નુકસાન પહોંચાડશે.

લેખમાં સોનિયા ગાંધીએ લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બધું ચાલતું રહેવા ન દે અને નફરતની આ ભભૂકી રહેલી આગ અને સુનામીને રોકે, નહીં તો ભૂતકાળની પેઢીઓએ પીડા વેઠીને જે સર્જન કર્યું છે એને તે ધ્વસ્ત કરી દેશે. ‘આપણે આને ચાલતું રહેવા દઈ ન શકીએ અને એને ચલાવવા દેવું પણ ન જોઈએ. બોગસ રાષ્ટ્રવાદના નામે શાંતિ અને બહુવાદનો બલિ ચઢાવાય એને આપણે જોતા રહી ન શકીએ. ચાલો, આપણે આ ભભૂકતી આગ તથા નફરતની ફેલાવવામાં આવેલી સુનામીને કાબૂમાં લઈએ.’