જેટ એરવેઝ, કિંગફિશર પછી હવે સ્પાઇસજેટ પણ નાદારીના પંથે?

નવી દિલ્હીઃ એરલાઇન્સ કંપની સ્પાઇસજેટે આશરે 80 પાઇલટ્સને ત્રણ મહિના માટે વગર પગારે રજા પર મોકલી દીધા છે. એરલાઇન્સે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે. એરલાઇન્સ છેલ્લાં ચાર વર્ષથી સતત ખોટમાં ચાલી રહી છે. DGCAના આદેશ પછી જુલાઈથી એરલાઇન્સ 50 ટકાથી ઓછી ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે.

એરલાઇન્સ પાસે હાલ 90 ફ્લાઇટ્સ છે, પણ હાલ માત્ર 50 એરલાઇન્સ પ્રતિદિન ઓપરેટ કરી રહી છે. અહેવાલો મુજબ સ્પાઇસજેટે B737 એરક્રાફ્ટના 40 અને Q400ના 40 પાઇલટ્સને ત્રણ મહિના માટે રજા પર મોકલી દીધા છે અને આ ત્રણ મહિના આ પાઇલટ્સને પગાર નહીં ચૂકવવામાં આવે.

એરલાઇન્સે કહ્યું હતું કે વર્ષ 2019માં B737 MAX એરક્રાફ્ટના ગ્રાઇન્ડિંગ બાદ એરલાઇન્સે 30 એરક્રાફ્ટને સામેલ કર્યા હતા, પણ B737 MAXને સતત ગ્રાઉન્ડિંગથી એરલાઇન્સમાં પાઇલટ્સની સંખ્યા વધી ગઈ હતી. ખર્ચ ઘટાડવાના હેતુથી હવે પાઇલટ્સને રજા પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે એરલાઇન્સે જણાવ્યું હતું કે કંપનીએ કોઈ પણ કર્મચારીની છટણી નથી કરી, જે એની નીતિ આધારિત નિર્ણય છે. કંપનીએ આ નીતિનું પાલન કોરોના રોગચાળામાં પણ કર્યું હતું.

કંપની ટૂંક સમયમાં MAX એરક્રાફ્ટને સામેલ કરશે, જે પછી આ પાઇલટ્સને કામ પર એ પરત બોલાવી લેશે. એરલાઇન્સે વર્ષ 2021-22માં રૂ. 1725 કરોડનું નકસાન નોંધાવ્યું હતું, જે વર્ષ 2020-21માં રૂ. 998 કરોડ હતું. કંપનીના સર્વર પર મેમાં થયેલા રેન્સમવેર અટેક થયો હતો, જેથી કંપની માર્ચ ત્રિમાસિક અને જૂન ત્રિમાસિક પરિણામો ટાળવા પડ્યાં હતાં. કંપનીના કર્મચારીઓ કોરોના રોગચાળાના પહેલાંના પગારે ઓછા પૈસે કામ કરી રહ્યા છે.