અદાણી ગ્રુપ વિવાદઃ કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરશે

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં અદાણી ગ્રુપને મુદ્દે વિપક્ષમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બજેટ સત્રના ત્રીજા દિવસે વિપક્ષનો હંગામો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી ગ્રુપ પર આવેલા હિંડનબર્ગ રિપોર્ટ બાદ તપાસની માગ કરી રહ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસે છઠ્ઠી ફેબ્રુઆરીએ બધા જિલ્લામાં LICની ઓફિસો અને SBIની બ્રાન્ચો સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કરશે.

કેન્દ્ર સરકાર પોતાના મિટોને ટેકો આપવા માટે સામાન્ય લોકોના નામાંનો ઉપયોગ કરી રહી છે. જેથી કોંગ્રેસે LICની ઓફિસો અને SBIની શાખાઓ સામે દેશના જિલ્લાઓમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે, એમ કોંગ્રેસના મહા સચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું.

કોંગ્રેસના જણાવ્યાનુસાર LIC અને SBI જેવી જાહેર ક્ષેત્રની બેન્કોનો અદાણી ગ્રુપના સંપર્કોથી મધ્યમ વર્ગની બચત પર મહત્ત્વની અસર પડે છે. વિપક્ષી નેતાઓ અપેક્ષા કરી રહ્યા છે કે સરકાર બેશરમ થશે અને તેમની માગોને નહીં માને. એટલે તેઓ સરકારને ઘેરવા માટે સંસદના મંચનો ઉપયોગ કરવાના પ્રયાસો કરશે. સંસદના સત્રમાં વિપક્ષના નેતાઓ સંસદમાં અદાણી ગ્રુપ વિશે ચર્ચા-વિચારણા કરવાની અને એક સંયુક્ત સમિતિ દ્વારા તપાસ કરવાની માગ કરી હતી.

તેમણે આ માટે લંચ પહેલાં લોકસભા અને રાજ્યસભામાં હંગામા દ્વારા કાર્યવાહી સ્થગિત કરવાની માગ કરી હતી. સંયુક્ત વિપક્ષે અદાણીના શેરોમાં આવેલા ઘટાડાને અમૃત કાળનો મોટું કૌભાંડ ગણાવ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝીસની સામે હિન્ડનબર્ગનો રિપોર્ટ પર સરકારની તીખી આલોચના કરી હતી. અદાણી એન્ટરપ્રાઇઝીસની ચાલી રહેલી પીછેહઠથી વિપક્ષી કોંગ્રેસે ગઈ કાલે ઘોષણા કરી હતી કે પક્ષના કાર્યકરો LICની ઓફિસો SBIની બ્રાન્ચો સામે દેશવ્યાપી વિરોધ દેખાવો કરશે.