કોરોના સંક્રમિતોના 53,601 નવા કેસઃ મૃત્યુદરમાં વધુ ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી કુલ કેસોની સંખ્યા 22 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,601 નવા કેસ સામે આવ્યા છે અને 871 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 22,68,676 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 45,217 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 15,83,489 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,39,929એ પહોંચી છે. રિકવરી રેટ 69.79 ટકાએ પહોંચ્યો છે.

અમેરિકા, બ્રાઝિલ કરતાં વધુ કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,000થી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ 48,810 અને 21,888 કેસ નોંધાયા છે અને 537 અને 721 લોકોનાં મોત થયાં છે.

દેશમાં મૃત્યુદરમાં ઓર ઘટાડો

આરોગ્ય મંત્રાલય જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના આશરે 23 લાખ કેસો સામે આવી ચૂક્યા છે, જેમાં સક્રિય દર્દીઓની સંખ્યા 6.40 લાખની છે. આ આંકડા મુજબ મૃત્યુ દર ઘટીને 1.99 ટકા પર આવી ગયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.