કોરોનાના 16,375 નવા કેસ, 201નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.03 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,375 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 201 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,03,56,844 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,49,850 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 99,75,958 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 29,091 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,31,036એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.12 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

નવા સ્ટ્રેનની વડોદરામાં એન્ટ્રી

કોરોના વાઇરસના સ્ટ્રેનની વડોદરામાં એન્ટ્રી થતાં તંત્ર હચમચી ઊઠ્યું છે. 12 દિવસ પહેલાં યુકેથી વડોદરા આવેલા યુવાનનો કોરોના વાયરસના સ્ટ્રેનની પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે યુવાનના સંપર્કમાં આવેલા અન્ય ત્રણ સગાંઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.