કોરોનાના 1,45,384ના નવા કેસ, 794નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 794 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,32,05,926 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,68,436 લોકોનાં મોત થયાં છે. છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 6,16,859 કેસો નોંધાયા છે. જોકે આ ખતરનાક બીમારીને 1,19,90,859  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77,567 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,46,631 પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.28 ટકા થયો છે.

દેશમાં 9.80 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 9,80,75,160 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34,15,055 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.