કોરોનાના 13,091 નવા કેસ, 340નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,091 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસો ગઈ કાલની તુલનાએ 14.2 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 340 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 34 દિવસથી કોરોનાના નવા કેસો 20,000ની નીચે આવી રહ્યા છે અને 137 દિવસથી 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,44,01,670 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,62,189 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,38,00,925 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,878 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,38,556એ પહોંચી છે. સક્રિય કેસો કુલ સંખ્યાના એક ટકાથી ઓછા થયા છે. રિકવરી રેટ વધીને 98.25 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,89,470 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 110.23 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,10,23,34,225 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 57,54,817 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.