કોરોનાના 12,899 નવા કેસ, 107નાં મોત 

નવી દિલ્હીઃ. દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,899 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 107 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,90,183 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,596 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,04,80,455  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,824 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,55,025 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.13 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

કોરોના મૃત્યુઆંકના મામલે ભારત  21મા સ્થાને

ભારત કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના રસીકરણ ઝુંબેશ ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને માત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે 21મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 14 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 10થી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત પાંચ રાજ્યમાં એક દિવસમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.