કોરોનાના 12,584 નવા કેસ, 167નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.04 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,584 નવા કેસ સામે આવ્યા છે. 18 જૂન પછી એક દિવસમાં આવેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 167 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,04,79,179 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,51,327 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 101,11,294  લોકો માત આપી ચૂક્યા છે.   પાછલા 24 કલાકમાં 18,385 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,16,558એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.49 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

કોરોના રસીનો ગુજરાતમાં પ્રવેશ

કોરોનાના કાળ બાદ ગુજરાતમાં કોરાનાની રસીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં રસીનો પ્રથમ જથ્થો આવી ગયો છે. આ રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઈ જવામાં આવશે. એ સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂટ પર રાઉન્ડ ધ કલોક સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પુણેથી નવ કલાકની આસપાસ રસીનો જથ્થો અમદાવાદ આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નીકળી ગયો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.