ડોંબિવલીમાં ક્વૉરીમાં ડૂબી જવાથી પાંચ પરિવારજનોનાં મૃત્યુ

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ડોંબિવલી ઉપનગરમાં પાણીથી ભરાયેલી પથ્થરની એક ખાણમાં ડૂબી જવાથી એક જ શ્રમિક પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ સભ્યોનાં કરૂણ મરણ નિપજ્યા છે. આ ઘટના ડોંબિવલી શહેરની હદમાં આવેલા સાંદીપ ગામ નજીક ગઈ કાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હતી.

એક મહિલા અને તેની પુત્રવધુ ક્વૉરી નજીક કપડાં ધોતી હતી. મહિલાનાં ત્રણ પૌત્રો-પૌત્રી બાજુમાં જ બેઠાં હતાં. એમાંનું એક બાળક લપસીને પાણીમાં પડી ગયું હતું. એને બચાવવા માટે બીજાં ચારેય જણે પ્રયાસ કર્યો હતો, પરંતુ એ તમામ ડૂબી ગયાં હતાં. મૃતકોનાં નામ છેઃ મીરા ગાયકવાડ (55), અપેક્ષા (30), મયૂરેશ (15), મોક્ષા (13) અને નિલેશ (15). જાણ કરાયા બાદ પોલીસોએ તમામનાં મૃતદેહ ક્વોરીમાંથી બહાર કાઢ્યા હતા અને આકસ્મિક મરણનો કેસ નોંધ્યો છે.