CSMT જતી લોકલ ટ્રેન ખાંદેશ્વર સ્ટેશને ઊભી ન રહી; મોટરમેન સસ્પેન્ડ

મુંબઈઃ મધ્ય રેલવેની હાર્બર લાઈન પર આજે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી એક લોકલ ટ્રેન ખાંદેશ્વર સ્ટેશને હોલ્ટ હોવા છતાં ત્યાં આશ્ચર્યજનક રીતે ઊભી રહી નહોતી. એને ચૂકાવીને જતી રહી હતી. એને કારણે ખાંદેશ્વર ઉતરવા માગતા ટ્રેનના પ્રવાસીઓ અને ખાંદેશ્વર સ્ટેશને ઊભેલા પ્રવાસીઓને ચિંતા-ડરની લાગણી થઈ હતી અને મોટું આશ્ચર્ય થયું હતું. ઘણાયને ગુંચવણ પણ થઈ હતી. ખાંદેશ્વર ઉતરવા માગતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.

મધ્ય રેલવેના એક અધિકારીએ કહ્યું કે આ ગંભીર ચિંતાજનક બાબત છે. આની વિસ્તૃતપણે તપાસ કરાશે. જવાબદાર ટ્રેન ક્રૂ સભ્યોને ચાર્જશીટ સુપરત કરાશે.

ઉક્ત ટ્રેન જ્યારે તે પછીના માનસરોવર સ્ટેશને ઊભી રહી કે તરત જ એના મોટરમેનને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. એની સામે તપાસ ચાલુ કરી દેવાઈ છે.