પ્રવીણ પરદેસીની બદલી: ઈકબાલ ચહલ મુંબઈના નવા મ્યુનિસિપલ કમિશનર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના કમિશનર પ્રવીણ પરદેસીની બદલી કરી દીધી છે. એમને શહેરી વિકાસ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમની જગ્યાએ ઈકબાલ ચહલને મુંબઈના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે.

આ નિર્ણય એવા વખતે લેવામાં આવ્યો છે જ્યારે મુંબઈમાં કોરોના વાઈરસને કારણે નાજુક પરિસ્થિતિ પ્રવર્તે છે. કોરોનાના દર્દીઓની સંખ્યા અને મરણાંક સતત વધી રહ્યા છે.

ઈકબાલ ચહલ હાલ શહેરી વિકાસ વિભાગમાં મુખ્ય સચિવ છે.

નવા મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલ

કહેવાય છે કે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા કાબૂમાં ન આવતાં પરદેસીને હટાવી દેવામાં આવ્યા છે.

પ્રવીણ પરદેસી 1986ના બેચના આઈએએસ અધિકારી છે.

મહારાષ્ટ્રમાં અગાઉની દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ સરકારે પરદેસીને મુંબઈના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. ફડણવીસની સરકાર વખતે એમણે મુખ્યમંત્રી કાર્યાલય, વન, પર્યાવરણ, શહેરી વિકાસ અને મહેસુલ જેવા મહત્ત્વના વિભાગોમાં ટોચની જવાબદારી સંભાળી હતી. એમની કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

પરદેસીની કામગીરીથી દેવેન્દ્ર ફડણવીસ હંમેશાં ખુશ રહ્યા હતા.