મુંબઈ: મહાગ્રંથ રાગોપનિષદના ઉદ્ધાટન સાથે સંગીત સંધ્યાનું આયોજન

મુંબઈ: પ્રાચીન જૈન ભક્તિ સંગીતમાં શાસ્ત્રીય રાગો આધારીત મહાગ્રંથ રાગોપનિષદના ઉદ્ધાટન સાથે મુંબઈમાં 8 માર્ચે એટલે કે આવતી કાલે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રાચીન પરંપરાઓ અને સમકાલીન કલાત્મકતાનું સુમેળભર્યું મિશ્રણ કરે છે. રાગોપનિષદ નામની આ શ્રેષ્ઠ કૃતિને આર્ષદષ્ટા જૈન આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા તૈયાર કરાવવામાં આવી છે, જે સદીઓ જૂની ભક્તિ ગીતોની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગહન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

આવતી કાલે એટલે કે 8 માર્ચના રોજ ગોરેગાંવ પશ્ચિમ ખાતે ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજરી આપશે. તદુપરાંત આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત વર્તમાન ગૃહ નાયબ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

આ સંગીતમય પ્રયાસ માટે વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત બલવલ્લીએ જહેમત ઉઠાવીછે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ગ્વાલિયર ઘરાનાના આદરણીય પંડિત યશવંત બુવા જોશીના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા ડૉ. બલવલ્લીની કલાત્મકતામાં તાર શહેનાઈની યાદ અપાવતી પ્રવાહીતા અને અભિવ્યક્તિને સમાવેશ થાય છે. પરંપરાગત સ્વરૂપોના સંરક્ષણ અને પુનર્જીવિતકરણ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ રાગોપનિષદને ફળદાયી બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રાગોપનિષદ ભારતીય સંગીતમાં એક અમૂલ્ય રત્ન છે, જે 500 વર્ષ પહેલાં વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલ અને સાચવેલ એક ગહન ગ્રંથ છે. આ પવિત્ર ગ્રંથ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની દુનિયામાં એક સાંસ્કૃતિક ખજાના તરીકે ઊભું છે.

રાગોપનિષદ પુસ્તકની વાત કરીએ તો તેમાં હસ્તલિખિત હસ્તપ્રતોમાંથી 126 ખોવાયેલા રાગનું પુનરુત્થાન, 38 રાગ માળા, 958 શ્લોકોમાં વણાયેલા 90 થી વધુ મોહક રાગ, 150+ પ્રાચીન સંગીતનાં સાધનોનાં ચિત્રો અને વર્ણન અને 90 પ્રાચીન, ઉત્કૃષ્ટ, હસ્તકલાવાળા રાગ ચિત્રોનો સમાવેશ થાય છે. રાગોપનિષદનું સંગીત સીમાઓ પાર કરે છે, જે સર્વાંગીણ ઉપચાર અને આધ્યાત્મિક જાગૃતિમાં ગહન પ્રવાસ પ્રદાન કરે છે.

લોકાર્પણ પછી ઉપસ્થિતોને વ્યક્તિગત પેન ડ્રાઈવ પર ડિજિટલ સંગીત સંસ્કરણો સાથે, હિન્દી અને અંગ્રેજીમાં રાગોપનિષદ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે.

રાગોપનિષદ સંગીતમય આલ્બમમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયકોને દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ઉલ્હાસ કાશલકર, સુરેશ વાડકર, સોનુ નિગમ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, જાવેદ અલી, કૌશિકી ચક્રવર્તી, ડૉ. અશ્વિની ભીડે, પંડિત વેંકટેશ કુમાર, પંડિત શૌનક અભિષેકી, પંડિત રઘુનંદન પાંશીકર, પંડિત રામ દેશપાંડે, ઓસ્માન મીર, ફાલ્ગુની પાઠક, રાહુલ દેશપાંડે, દેવકી પંડિત, પંડિત જયતીર્થ મેવુન્દી, આરતી અંકલીકર, પંડિત આનંદ ભાટે અને પંડિત સંજીવ અભ્યંકરનો સમાવેશ થાય છે.આ આલ્બમનું રેકોર્ડિંગ યશ રાજ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે.

આ ઉદ્ઘાટન કાર્યક્રમ 8 માર્ચ, 2025 ના રોજ સાંજે 5:30 વાગ્યે, લક્ષ્મી સરસ્વતી ગ્રાઉન્ડ, ઈન ઓર્બિટ મોલની બાજુમાં, બાંગુર નગર, ગોરેગાંવ પશ્ચિમ, મુંબઈ ખાતે યોજાશે. કાર્યક્રમમાં પ્રવેશ નિશુલ્કછે અને ઈચ્છુક દરેક સંગીતપ્રેમી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.