Mumbai:ગજનીની જેમ મૃતકે શરીર પર લખાવ્યા દુશ્મનોના નામ અને પોલીસે…

મુંબઈ: આમિર ખાનની ફિલ્મ ‘ગજની’ તો યાદ જ હશે, આમિર ખાનના પાત્ર સંજય સિંઘાનિયાએ જે રીતે તેના શરીર પર દુશ્મનના નામનું ટેટૂ બનાવ્યું હતું, તેવી જ રીતે મુંબઈમાં વર્લી સ્પા મર્ડર કેસમાં મૃતકના શરીર પર દુશ્મનોની નામનું ટેટૂ જોવા મળ્યુ હતું. વરલીમાં પોલીસે 23 જુલાઈના રોજ 52 વર્ષીય કથિત ખંડણીખોરની હત્યાની તપાસ કરતી વખતે શોધી કાઢ્યું હતું કે મૃત ગુરુ સિદ્ધપ્પા વાઘમારેએ પોતાની જાંઘ પર 22 લોકોના નામનું ટેટૂ બનાવ્યું હતું જેના પર તેમને શંકા હતી કે તેઓ તેમના દુશ્મનો હતા અથવા તેમની સાથે દુશ્મની હતી.

સ્પાના માલિકની હત્યા થઈ

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વાઘમારેએ જે નામનું ટેટૂ બનાવ્યું હતું તે વરલીમાં સોફ્ટ ટચ સ્પાના માલિક સંતોષ શેરેકરનું પણ હતું,જેના પર વાઘમારેને મારવા માટે એક હિટમેનને નોકરી આપવાનો અને તેને કામ માટે 6 લાખ રૂપિયા આપવાના વચન બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું એમ પણ કહેવું છે કે વાઘમારે મૃતક સ્પાના માલિકને ઘણા સમયથી બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેનાથી હતાશ થઈને તેણે છેલ્લા બે મહિનાથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે વાઘમારેને ખતમ કરવાના અગાઉના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. તમને જણાવી દઈએ કે વાઘમારે પોતાની જીવનશૈલીના કારણે ચુલબુલ પાંડે તરીકે પણ ઓળખાતા હતા.

પ્રારંભિક તપાસ દરમિયાન વાઘમારેને ખતમ કરવાના અનેક કાવતરા નિષ્ફળ ગયા હોવાનું બહાર આવ્યું હતું. શરૂઆતમાં 17 જુલાઈએ તેમના જન્મદિવસે તેને મારી નાખવાની યોજના હતી, પરંતુ તે સફળ થઈ ન હતી. તે પછી 23 જુલાઈએ પણ તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો ત્યારે હત્યારાએ તેનો લાભ લીધો હતો.તે દિવસે મૃતક વાઘમારે સાયન વિસ્તારમાં હતો અને દારૂના નશામાં હતો, હત્યારાઓ તેને ત્યાં મારવાના હતા પરંતુ ત્યાં તેમને તક મળી ન હતી. ત્યારબાદ વાઘમારે વર્લી સ્પામાં ગયા,જ્યાં હત્યારાઓએ તેમની યોજનાને અંજામ આપ્યો.

મૃતક બ્લેકમેલ કરતો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક વારંવાર RTI અરજીઓ દાખલ કરીને વારંવાર રિપોર્ટર તરીકે અને અન્ય સંસ્થાઓ પર દરોડા પાડવા માટે પોલીસ બાતમીદાર તરીકે કામ કરીને ઘણા લોકો પાસેથી પૈસા પડાવતો હતો.એક અધિકારીએ કહ્યું,”તેમણે પોતાની જાંઘો પર 22 દુશ્મનોના નામનું ટેટૂ હતું, જેમાંથી કેટલાક તેના પરિવારના સભ્યો પણ હતા.એવું લાગે છે કે તેને આ લોકોથી ખતરો છે. આ તમામ નામોની એક પછી એક તપાસ શરૂ કરવામાં આવી અને આખરે પોલીસના હાથે હત્યારે ઝડપાઈ ગયો.

ઘટનાના દિવસે શું થયું હતું?

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના સાયન વિસ્તારમાં મોડી રાત્રે પાર્ટી કર્યા પછી, મૃતક ગુરુ સિદ્ધપ્પા તેની મહિલા મિત્ર અને સ્પામાં કામ કરતા અન્ય ત્રણ કર્મચારીઓ સાથે વરલીમાં સોફ્ટ ટચ સ્પા પહોંચ્યા હતા, જ્યાં તેની હત્યા થઈ હતી.આરોપીઓએ મૃતકને ઘણો દારૂ પીવડાવ્યો હતો. વર્લી પોલીસ ઉપરાંત, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 3 એ હત્યાના કેસમાં નાલાસોપારા અને કોટામાંથી ચાર લોકોની અટકાયત કરી હતી, જેમાંથી પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી અને અન્ય 2 લોકોની પૂછપરછ કરી રહી હતી.