કોણ છે એ કેતન સિંહ? જેણે કરણ જોહરની જાહેરમાં ઉડાવી મજાક

મુંબઈ: ફિલ્મમેકર કરણ જોહર પોતાના નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. કરણ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તે સોશિયલ મીડિયાનો સહારો લે છે. હાલમાં જ તેમણે એક ટીવી શોના કોમેડિયનને ખરી ખોટી સંભળાવી છે. તેમણે કહ્યું કે કોમેડિયનોને તેની નકલ કરતા જોઈને તે વ્યથિત થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક નોટ શેર કરી તેણે મિમિક્રીને ખરાબ ગણાવી છે. કરણે કહ્યું કે એક વખત ટ્રોલર્સ આવું કરે તો સમજ્યા પરંતુ તેને ઈન્ડસ્ટ્રીના જ લોકો પાસેથી આવી આશા નહોતી.

કરણ જોહરે પોતાની પોસ્ટમાં કોઈપણ શો કે કોમેડિયનનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. કરણની આ પોસ્ટ જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તે કેતન સિંહ વિશે વાત કરી રહ્યા છે. કેતને સોની ટીવીના શો ‘મેડનેસ મચાયેંગે- ઈન્ડિયા કો હંસાયેંગે’માં તેમની નકલ કરી હતી.

કરણે પોતાની નોટમાં લખ્યું છે કે,’હું મારી માતા સાથે બેઠો બેઠો ટેલિવિઝન જોઈ રહ્યો હતો અને મેં એક પ્રતિષ્ઠિત ચેનલ પર એક રિયાલિટી કોમેડી શોનો પ્રોમો જોયો. એક કોમેડિયન મારી ખૂબ જ ખરાબ રીતે નકલ કરી રહ્યો હતો. હું ટ્રોલ્સ અને અજ્ઞાન લોકો પાસેથી આની અપેક્ષા રાખું પરંતુ જ્યારે તમારી પોતાની ઈન્ડસ્ટ્રી 25 વર્ષથી વધુ સમયથી વ્યવસાયમાં હોય તેવા વ્યક્તિનો અનાદર કરે એ વાત યોગ્ય ન કહેવાય. આ જોઈ મને માત્ર ગુસ્સો જ નથી આવ્યો પરંતુ દુ:ખ પણ થયું છે.’

કરણ જોહરે શેર કરેલી આ નોટ સોની ટીવી અને તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરાયેલા તાજેતરના પ્રોમો વિશે છે. કોમેડિયન કેતન સિંહે શોના પ્રોમોમાં કરણની નકલ કરી છે. તે ‘કોફી વિથ કરણ’શોની નકલ કરતો જોવા મળે છે.કોમેડી શોમાં કેતને કરણના શોને ‘ટોફી વિથ ચુરણ’ કહીને તેની મજાક ઉડાવી હતી. કેતને શોમાં ઘણા સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે કરણ પર નિશાન સાધ્યું છે. આ સાથે કરણ જોહરની ડાન્સ કરવાની આદતની પણ મજાક ઉડાવવામાં આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી આ શોને જજ કરી રહી છે.

કોણ છે કેતન સિંહ

કેતન સિંહ એક્ટર અને રાઈટર છે. હાલમાં તે સોની લીવ પર મેડનેસ મચાયેંગે ક઼ૉમેડી શૉમાં કૉમેડીયન તરીકે જોવા મળી રહ્યાં છે. જેમાં તેમણે કરણ જોહરની નકલ કરી હતી. જોકે કરણ જોહરની પ્રતિક્રિયા બાદ કેતન સિંહે ફિલ્મ નિર્માતાની માફી માંગી છે. એક પોર્ટલ સાથે વાત કરતાં કેતને કહ્યું કે તેનો ઈરાદો કરણ જોહરની ભાવનાને ઠેંસ પહોંચાડવાનો નહોતો. તે માત્ર મનોરંજન માટે હતું. પરંતુ જો તેમનું દિલ દુભાયું હોય તો હું માફી ચાહું છું.