બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની યાદમાં કદાચ સિક્કો બહાર પાડશે

લંડનઃ બ્રિટનમાં અશ્વેત, એશિયન તથા અન્ય લઘુમતી વંશીય સમુદાયોનાં લોકો તરફથી દેશના કલ્યાણ માટે કરાતા યોગદાનની કદર વધી રહી છે ત્યારે બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એક સિક્કો બહાર પાડવા વિચાર કરી રહી છે.

બ્રિટનના નાણાં પ્રધાન રિશી સુનકે દેશની રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીને એક પત્ર લખીને જણાવ્યું છે કે

ઉક્ત સમુદાયોનાં લોકોનાં પ્રદાનની કદર કરવામાં આવે. આ જાણકારી બ્રિટનના નાણાં મંત્રાલયે ઈમેલ કરેલા એક નિવેદન દ્વારા આપી છે.

નાણાં મંત્રાલયે કહ્યું કે, એડવાઈઝરી કમિટી મહાત્મા ગાંધીની યાદમાં એક સિક્કો બહાર પાડવા વિચારી રહી છે.

ભારતમાં રાષ્ટ્રપિતાનું સમ્માન પ્રાપ્ત કરનાર અને મહાત્મા તરીકે ઓળખાતા મોહનદાસ કરમચંદ ગાંધીએ એમના સમગ્ર જીવન દરમિયાન અહિંસાની હિમાયત કરી હતી તેમજ ભારતની આઝાદીની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમનો જન્મ 1869ની બીજી ઓક્ટોબરે થયો હતો અને દર વર્ષે બીજી ઓક્ટોબરનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતે 1947ની 15 ઓગસ્ટે બ્રિટિશ હકુમતમાંથી આઝાદી મેળવી એનાં અમુક જ મહિના બાદ, 1948ની 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનું નિધન થયું હતું.

બ્રિટનમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME) સમુદાયોને મદદરૂપ થવા અને વંશીય વિવિધતાને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે મૂડીરોકાણ કરવાની ઘણી સામાજિક સંસ્થાઓએ પહેલ શરૂ કરી છે.