ઓમાનના સુલ્તાનનું અવસાનઃ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઓમાનના સુલતાન કબુસ બિન સૈદનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયાએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. જોકે,ઓમાનના સુલતાન કબુસ બિન સૈદ અવસાનનું સત્તાવાર રીતે કારણ હાલ સુધી જણાવવામાં આવેલ નથી. કબુસ બિન સઈદના અવસાન પછી ઓમાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક રજા જાહેર કરવામાં આવ્યો છે.

ઓમાન સાથે ભારતનાં પણ સારા રાજદ્વારી સબંધો છે. ઓમાનનાં સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોતાનાં ટ્વીટમાં લખ્યું હતું કે “મને મહાશય સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન વિશે જાણ થતા ખૂબ દુ:ખ થયું છે. તે એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાજકારણી હતા, જેણે ઓમાનને આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો છે. તે આપણા ક્ષેત્ર અને વિશ્વ માટે શાંતિનો એક આદર્શ હતા.

પીએમ મોદીએ પોતાનાં વધું એક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે, સુલતાન કબુસ ભારતનાં સાચો મિત્ર હતા અને ભારત અને ઓમાન વચ્ચે જીવંત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે મજબૂત નેતૃત્વ પ્રદાન કરતા હતા. હું તેની પાસેથી મને મળતી હૂંફ અને સ્નેહની હંમેશા કદર કરીશ. તેના આત્માને શાંતિ મળે.

કાબૂસ બિન સઇદ ઓમાનના સૌથી વધુ સમય સુધી સુલ્તાન રહ્યાં. કાબૂસે 1970માં પોતાના પિતાને ગાદી પરથી હટાવી દીધા હતા અને પોતે સુલ્તાનની ગાદી પર બેઠા હતા. સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા નહોતા. તેમના નિધન બાદ સુલ્તાનના પદને લઇને કોઇ ઉત્તરાધિકારી નથી.