શ્રીલંકાઃ કાર્યવાહક પ્રમુખ વિક્રમસિંઘેનો સુરક્ષા દળોને આદેશ

કોલંબોઃ શ્રીલંકાના પ્રમુખ ગોટાબાયા રાજપક્ષા દેશમાં વ્યાપેલી અંધાધૂંધીને કારણે માલદીવ ભાગી ગયા છે. તેઓ એમની જગ્યાએ કાર્યવાહક પ્રમુખ તરીકે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને નિયુક્ત કરી ગયા છે. વિક્રમસિંઘેએ આજે સુરક્ષા દળોને આદેશ આપ્યો છે કે તેઓ દેશમાં પરિસ્થિતિને અંકુશ હેઠળ લાવી દે. 

દેશના પાટનગર કોલંબોમાં રોષે ભરાયેલા લોકોના હિંસક દેખાવો ચાલુ રહેતાં વિક્રમસિંઘેએ સુરક્ષા દળો અને પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે તેઓ પરિસ્થિતિને કાબૂમાં લાવે. એમણે દેશભરમાં કટોકટી પણ ઘોષિત કરી દીધી છે તેમજ દેશના પશ્ચિમ પ્રાંતમાં કર્ફ્યૂ લાગુ કરાવી દીધો છે. પ્રમુખ રાજપક્ષાના સત્તાવાર મહેલમાં દેખાવકારો ઘૂસી ગયા બાદ વિક્રમસિંઘેના નિવાસસ્થાનની બહાર પણ લોકોનું ટોળું એકત્ર થતાં વિક્રમસિંઘેએ કડક હાથે કામ લેવાના આદેશ આપ્યા છે.