ભારતની ચૂંટણીનાં પરિણામોના એક્ઝિટ પોલથી પાકિસ્તાનમાં દહેશત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે જાહેર થવાનાં છે, પણ તમામ એક્ઝિટ પોલમાં દેશમાં ફરી એક વાર મોદી સરકાર આવવાની શક્યતાએ પાકિસ્તાન દહેશતમાં છે. પાકિસ્તાનને ડર છે કે મોદી સરકાર આવનારા સમયમાં એની સામે આક્રમક નીતિ અપનાવશે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ કહ્યું હતું કે ટ્રેક રેકોર્ડથી માલૂમ પડે છે કે વડા પ્રધાન મોદી ચૂંટણી સંકલ્પ પત્ર લાગુ કરે એવી સંભાવના છે. તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ કરશે અને પાકિસ્તાન સામે કડક વલણ અપનાવશે. ડોન ન્યૂઝપેપરે લખ્યું છે કે ભારતમાં એક્ઝિટ પોલનો રેકોર્ડ ખરાબ છે, કેમ કે એનાં ચૂંટણી પરિણામો ખોટાં હોય છે. નિષ્ણાતોનું પણ કહેવું છે કે મોટા અને વિવિધતાવાળા દેશમાં એક્ઝિટ પોલના આંકડા સાચા ના હોઈ શકે.

ચોથી જૂને ચૂંટણી પરિણામોને લઈને ઉત્સુકતા જેટલી દેશમાં છે, એટલી જ ચર્ચા પાકિસ્તાનમાં પણ છે. હજી થોડા દિવસો પહેલાં પાકના ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે તેમના દેશવાસીઓ ઇચ્છે છે કે મોદી ચૂંટણી હારે. પાકિસ્તાનના નેતાઓ પણ નથી ઇચ્છતા મોદી ત્રીજી વાર વડા પ્રધાન ના બને, કેમ કે પાકિસ્તાની સંસદમાં એક સાંસદે પણ જણાવ્યું હતું કે વિદેસ મંત્રીને ડર હતો કે ક્યાંક ભારત હુમલો ના કરી દે. ભારતે POKમાં ઘૂસીને 40થી વધુ આતંકવાદીઓને મોતના ઘાટ ઊતાર્યા હતા.પુલવામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાનો પણ ભારતે બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી અને 300થી વધુ આતંકવાદીને માર્યા હતા. પાકિસ્તાની લોકો નથી ઇચ્છતા કે દેશમાં મોદી સરકાર બનાવે, કેમ કે મોદી પાકિસ્તાનની દરેક ઈંટનો જવાબ પથ્થરથી આપે છે.