પાકિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો; 20નાં મોત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આજે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે પ્રચંડ ધરતીકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 20 જણ માર્યા ગયા હોવાનો અને 300 જેટલા લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. ધરતીકંપનું કેન્દ્રબિંદુ હરનાઈ શહેરથી આશરે 14 કિ.મી. દૂરના સ્થળે 5.8 કિલોમીટર ઊંડે હોવાનું નોંધાયું છે. હરનાઈ શહેર બલુચિસ્તાનમાં પહાડી વિસ્તારમાં વસેલું છે. ત્યાં અનેક રસ્તાઓમાં તિરાડો પડી ગઈ છે. એને કારણે બચાવ કામગીરીમાં અવરોધો ઊભા થયા છે. ધરતીકંપ આવ્યા બાદ અનેક ઘરોની દીવાલ અને છત તૂટી પડી હતી. ધરતીકંપ આવ્યા બાદ એક મોટો આફ્ટરશોક પણ આવ્યો હતો જેની તીવ્રતા 4.5ની હતી.

પ્રાંતના પ્રધાન મીર ઝિયા ઉલ્લાહ લાંગોએ કહ્યું છે કે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે. મૃતકોમાં છ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.