જોન્સન એન્ડ જોન્સને પણ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું

વોશિંગ્ટનઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દર્દીઓની સંખ્યા 71 લાખને પાર પહોંચી છે. કોરોના વેક્સિન વિકસિત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સને હાલમાં કોરોનાની વેક્સિનનું પરીક્ષણ અટકાવી દીધું છે. આ  પરીક્ષણમાં ભાગ લઈ રહેલો શખસ કોઈક રીતે બીમાર થયા પછી પરીક્ષણને અટકાવવામાં આવ્યું છે.

કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બધી કોવિડ-19 વેક્સિનનું ક્લિનિકલ પરીક્ષણ  હંગામી રીતે અટકાવી દેવામાં આવ્યું છે. કંપનીએ એનું કારણ પરીક્ષણ દરમ્યાન ભાગ લઈ રહેલી વ્યક્તિ બીમાર પડી હોવાનું જણાવ્યું હતું.

કંપનીએ હાલમાં આ વેક્સિનના છેલ્લા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું હતું. કંપનીએ ત્યારે કહ્યું હતું કે આના હેઠળ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચિલી, કોલમ્બિયા અને મેક્સિકો અને પેરુમાં 60,000 લોકો પર વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે. કંપનીએ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું એ ન્યૂઝ એક મોટો ઝટકો છે. આ પહેલાં એસ્ટ્રાઝેનકાની વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોરોનાની વેક્સિન બનાવવાની રેસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાની વેક્સિન સૌથી આગળ ચાલી રહી હતી, પણ પાછલા દિવસોમાં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ છઠ્ઠી સપ્ટેમ્બરે ત્રીજા તબક્કામાં પરીક્ષણ અટકાવવામાં આવ્યું હતું. જોકે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાની વેક્સિનનું બ્રિટન અને ભારતમાં ફરીથી પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા અથવા અન્ય દેશો પાસેથી કંપનીને હજી ફરીથી પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી નથી મળી.