પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ સ્વતંત્ર, અન્ય દેશથી પ્રભાવિત નહીં

જેરુસલેમ- ઈઝરાયલની રાજધાની તરીકે જેરુસલેમને અમેરિકા દ્વારા માન્યતા અપાયાનો વિશ્વના અનેક દેશોએ વિરોધ કર્યો છે. આ અંગે ભારતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, પેલેસ્ટાઈનને લઈને અમારું વલણ નિષ્પક્ષ અને સ્વતંત્ર રહેશે. કોઈ અન્ય દેશથી ભારત પ્રભાવિત નહીં થાય.

ભારતના વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યું કે, પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ પોતાના વિચારોને અનુરુપ રહેશે. કોઈ અન્ય દેશનો હસ્તક્ષેપ ભારતને પ્રભાવિત નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. જે આ પવિત્ર શહેર માટે વર્ષોથી ચાલી આવતી અમેરિકાની આંતરાષ્ટ્રીય નીતિની વિપરીત છે.

જોકે આ તકે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ્સે પણ જેરુસલેમને ઈઝરાયલની રાજધાની બનાવવા અંગે પ્રયાસ કર્યા હતા પરંતુ તેનો વાયદો પુરો કરવામાં સફળતા મળી નહતી. આ વાયદો મેં પુરો કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રશાશનને પણ નિર્દેશ આપ્યા છે કે, ઈઝરાયલની વર્તમાન રાજધાની તેલ અવીવથી અમેરિકાના દૂતાવાસને જેરુસલેમ ખસેડવાની પ્રક્રિયા શરુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, જેરુસલેમ ઈસ્લામ અને ઈસાઈ બન્ને સમુદાયો માટે આસ્થાનું કેન્દ્ર છે. ઉપરાંત આ શહેર ઈઝરાયલ અને આરબ વચ્ચે વિવાદનું પ્રમુખ કારણ પણ છે.