ભારત-વિરોધી પ્રચાર કરતા 453 પાકિસ્તાની એકાઉન્ટ્સને ફેસબુકે સસ્પેન્ડ કર્યા

ન્યૂયોર્કઃ ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવતો હોવાની ફરિયાદો થયા બાદ જોરદાર સપાટો બોલાવીને સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે 453 પાકિસ્તાની એકાઉન્ટ્સને પોતાના પ્લેટફોર્મ પરથી સસ્પેન્ડ કર્યા છે.

આ પાકિસ્તાની એકાઉન્ટ્સ પરથી ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરાતો હતો અને ખોટા સમાચારો ફેલાવવામાં આવતા હતા.

453 ફેસબુક એકાઉન્ટ્સ ઉપરાંત 103 ફેસબુક પેજીસ, 78 ગ્રુપ્સ અને 107 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને આ જ આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બધું પાકિસ્તાનમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને હજી ગયા મંગળવારે જ પત્ર લખીને જણાવ્યું હતું કે ફેસબુકની સામુદાયિક માર્ગદર્શિકાઓએ ભારતીય નૈતિક મૂલ્યોનો આદર કરવો જ જોઈએ.

પ્રસાદે કહ્યું હતું કે ફેસબુકને અમારી મુખ્ય ફરિયાદ એ છે કે ફેક્ટ-ચેકિંગનું થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકરને આઉટસોર્સ કરવામાં આવી રહ્યું છે. જેની કોઈ વિશ્વસનીયતા ન હોય એવી શંકાસ્પદ સંસ્થાઓને આઉટસોર્સ કરીને ફેસબુક પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. ગેરમાહિતીના ફેલાવામાંથી યૂઝર્સને રક્ષણ આપવાની ફેસબુકની જવાબદારી બને છે.