બ્રિટનઃ જ્હોન્સનની તબિયત સુધરી, પણ રહેશે આઈસોલેશનમાં

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું છે કે હવે મારી તબિયત સારી છે પરંતુ જ્યાં સુધી મારા કોરોનાના લક્ષણ પૂર્ણ રીતે દેખાવાના બંધ ન થઈ જાય ત્યાં સુધી આઈસોલેશનમાં જ રહીશ. તેમણે આ સાથે જ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ લોકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરે કારણ કે ઘરમાં રહીને જ ઘણી જીંદગીઓ બચાવી શકાશે. જોનસને કોરોના વાયરસ પોઝિટિવ જણાયો છે અને એક સપ્તાહથી તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા છે.

તેમણે ટ્વીટર પર વિડીયો મેસેજ જાહેર કરીને પોતાની તબિયતની જાણકારી આપી છે. જોનસને કહ્યું કે, મારા કેસમાં હું ભલે હવે મારી તબિયત સારી છે તેવું અનુભવી રહ્યો હોવ પરંતુ સાત દિવસ હું આઈસોલેશનમાં રહી ચૂક્યો છું પણ હજી સામાન્ય લક્ષણો મને દેખાઈ રહ્યા છે. હજી શરીરમાં ટેમ્પરેચર છે. સરકારની સૂચના અનુસાર હું મારું આઈસોલેશન ત્યાં સુધી યથાવત રાખીશ કે જ્યાં સુધી મારામાં કોરોનાના લક્ષણ સંપૂર્ણ રીતે દેખાવાના બંધ ન થઈ જાય ત્યાં સુધી.

જોનસને 23 માર્ચના રોજ 3 સપ્તાહનું લોકડાઉન જાહેર કર્યું હતું. તેમણે પોતાના સંદેશમાં દેશવાસીઓને કહ્યું છે કે તેઓ વિકેન્ડમાં બહાર ન જાય, ભલે વાતાવરણ ગમે તેટલું સારું હોય. તેમણે કહ્યું કે, તમે લોકો ઘરમાં રહીને કેટલીય જીંદગઓ બચાવી રહ્યા છો.