ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી રમાનારી ત્રણ મેચોની T20I સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝ માટે શ્રેયસ અય્યરને ટીમનો કપ્તાન અને તિલક વર્માને વાઈસ-કેપ્ટન બનાવાયો છે. જોકે, સિરીઝનો પ્રારંભ થાય તે પહેલાં જ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે માઠા સમાચાર આવ્યા છે, કારણ કે સ્ક્વોડમાં સામેલ 4 મહત્વના ખેલાડીઓ ફિટનેસના અભાવે આખી સિરીઝ ગુમાવે તેવી પૂરી શક્યતા છે.

બુમરાહ સહિત આ 4 ખેલાડીઓની ફિટનેસ પર સવાલ
જાહેર કરાયેલી ટીમમાં જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ સહિત 7 ખેલાડીઓની વાપસી થઈ છે. પરંતુ, પસંદગીકારોએ જસપ્રીત બુમરાહ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને ફિટનેસને આધીન (Subject to Fitness) સ્ક્વોડમાં સ્થાન આપ્યું છે. જો આ ચારેય ખેલાડીઓ આગામી ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય, તો તેમને સિરીઝમાંથી બહાર બેસવું પડશે.
દિલ્હીમાં રમાશે તમામ મેચો, અફઘાનિસ્તાન હોસ્ટ
આ સિરીઝની વિશેષતા એ છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) આ સિરીઝનું આયોજન કરી રહ્યું છે, જેના કારણે ભારતીય ટીમ પોતાના જ દેશમાં પ્રથમ વખત ‘ગેસ્ટ ટીમ’ તરીકે રમશે. સિરીઝની ત્રણેય મેચો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે:
પહેલી T20: 13 સપ્ટેમ્બર (સાંજે 7:00 વાગ્યે)
બીજી T20: 15 સપ્ટેમ્બર (સાંજે 7:00 વાગ્યે)
ત્રીજી T20: 17 સપ્ટેમ્બર (સાંજે 7:00 વાગ્યે)
ભારતીય સ્ક્વોડ:
શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપકપ્તાન), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી*, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ*, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર*, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણા*. (*ફિટનેસ પર નિર્ભર)




