ગુજરાતમાં ટામેટાના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ

ગુજરાતની ગૃહિણીઓને રાહત થઇ છે. કારણ કે ટામેટાના ભાવ ઘટ્યા છે. જેમાં ટામેટા સાથે કોથમીરની આવક વધતા રિટેલ કિંમતોમાં રાહતજનક ઘટાડો થયો છે. બે દિવસમાં ટામેટા 160ના કિલોથી ઘટીને રૂ.100ના થયા છે. તેમજ સતત ઊંચા ભાવના કારણે ટામેટા-કોથમીરની ખરીદીમાં ઘટાડો થયો હતો. ટામેટા, કોથમીર, લીલા મરચા સહિતના લીલા શાકભાજીની આવક ઓછી આવતા રિટેઈલ માર્કેટમાં ભાવો છેલ્લા દોઢ માસથી અસહ્ય વધારો થઈ ગયો હતો, જેના કારણે લોકોએ વપરાશમાં કાપ મુકીને ખરીદી ઓછી કરતા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી ભાવોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટામેટા હોલસેલમાં રૂ.160 કિલો મળતા હતા જે આજે રૂ.90 થી 100 કિલો વેચાયા હતા જયારે રિટેઈલમાં રૂ.120 થી 140 કિલો વેચાણ થયા હતા.

 

આદુ એક તબક્કે રૂ.300 કિલો મળતુ હતુ જે અત્યારે રૂ.150 કિલો

રિટેઈલમાં આદુ એક તબક્કે રૂ.300 કિલો મળતુ હતુ જે અત્યારે રૂ.150 કિલો વેચાઈ રહ્યુ છે. વેપારીના મતે ટામેટાની આવક હાલમાં ઓછી થઈ ગઈ છે. પહેલા ટામેટા નાસિક અને બેગ્લોરથી આવતા હતા. હાલમાં ટામેટા માત્ર બેગ્લોરથી આવી રહ્યા છે.પરંતુ નાસિક પાસે ટામેટાની બે ટ્રકો લૂટાવાના પગલે બેંગ્લોરના વેપારીઓ દ્વારા એડવાન્સમાં નાણાં મેળવીને ટ્રકની ડિલીવરી કરી રહ્યા છે. જેના લીધે આવક ઓછી થઈ ગઈ હતી અને ભાવો વધી ગયા હતા. વેપારીના મતે આ વર્ષે શાકભાજીની આવક ઓછી છે અને પહેલા રાત્રીના જમાલપુર શાકમાર્કેટ આવે છે. આ પછી કમોડમાં આ જ શાકભાજી વેચાણ માટે મોકલવામાં આવે છે. જયા શાકભાજીનું વેચાણ ના થાય તો તે શાકભાજી કર્ણાવતી માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યા વધે તે શાક પછી સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ આવી રહ્યુ છે. આમ શાકભાજી પહેલા એક જ જગ્યાએથી વેચાણ થતું હતું તે હાલમાં ચાર જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે.