ધો.10 – 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મોટા સમાચાર

માર્ચ-2024ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુનો અમલ કરવામાં આવ્યા બાદ હવે આગામી પરીક્ષામાં ધોરણ 10 અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ તેનો અમલ કરવાનું નક્કી કરાયું છે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હવે ધોરણ-12 સાયન્સની જેમ ધોરણ 10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં પણ બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક આપવાનો નિર્ણય લેવાયો છે. જે અનુસાર મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવાશે અને બંને પરીક્ષા પૈકી જેમાં વધુ ગુણ હશે તે માન્ય રખાશે.

આમ, હવે બોર્ડ દ્વારા વર્ષમાં બે વખત તમામ વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-12 સાયન્સમાં વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી.

જ્યારે ધોરણ-10માં બે વિષય અને ધોરણ12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી. પરંતુ ગત પરીક્ષા એટલે કે માર્ચ-2024ની પરીક્ષાથી બોર્ડ દ્વારા તેમાં ફેરફાર કરાયો હતો. જે અનુસાર ધોરણ-12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક આપવામાં આવી હતી. જેમાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.