સરકારી મકાનમાં ગેરકાયદે મજારઃ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં લેન્ડ જિહાદનો મામલો સામે આવ્યો છે. ભોપાલના અતિ VVIP વિસ્તારમાં કબર જેવી મજારો બનાવવામાં આવી છે. એવો દાવો હિંદુ સંસ્થાઓએ કર્યો છે. સરકારી મકાનની અંદર બે મજારો બનાવી દેવામાં આવી છે. સરકારી તંત્ર પૂરેપૂરું સૂતું રહ્યું છે. અધિકારીઓના નાક નીચે જ VVIP વિસ્તારમાં ગેરકાયદે મજાર બાંધવામાં આવી છે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના VVIP વિસ્તારના 1250 ક્વાર્ટર તરીકે ઓળખાતા વિસ્તારમાં લગભગ 90 ટકા સરકારી મકાનો છે. અહીં ક્લાસ-1થી માંડીને ક્લાસ-3 સ્તરના સરકારી કર્મચારીઓ રહે છે. આવા સરકારી મકાનના આંગણે બનેલી મજારોને કારણે હિંદુ સંસ્થાઓમાં નારાજગી જોવા મળી છે. સ્થાનિક લોકો કહે છે કે આ મજારો વર્ષોથી અહીં છે. એક મહિલાએ જણાવ્યું હતું કે અગાઉ આ ઘર એક મુસ્લિમ કર્મચારીને ફાળવવામાં આવ્યું હતું.

વર્ષોથી આ વિસ્તારમાં સરકારી મકાનમાં લોકો રહેતા આવ્યા છે. આ કબર મજારો જેવી છે. બહુ પહેલાં બાંધી દેવામાં આવી હતી, પણ હિંદુ સંસ્થાનું માનવું છે કે આ મજારો આ મકાનમાં રહેતા મુસ્લિમ પરિવાર દ્વારા બનાવી દેવામાં આવી છે. એ કારણે હિંદુ સંસ્થાઓએ વહીવટી તંત્રને ફરિયાદ પણ કરી છે. આ ફરિયાદની એક નકલ પણ સામે આવી છે.

આ મજાર હાલમાં બાંધવામાં આવી છે કે જૂની છે તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તપાસ કર્યા બાદ નિર્ણય લેશે. હાલ આ મુદ્દા પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે.  શા માટે સરકારી જમીન પર, સરકારી મકાનની અંદર આ રીતે મજાર બાંધી શકાય? શું ત્યારે સરકારના પ્રતિનિધિઓએ કોઈ ફરિયાદ નહોતી નોંધાવી? જો આ મજાર જૂની હતી તો એની બાજુમાં સરકારી ઈમારત કેવી રીતે ઊભી થઈ?

સરકારના મંત્રી કૈલાશ સારંગીએ જણાવ્યું કે આપણે અગાઉ પણ લેન્ડ જિહાદ સામે કાર્યવાહી કરી છે. લેન્ડ જિહાદ કોઈ પણ સ્તરે, કોઈ દ્વારા પણ સહન કરાશે નહીં. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.