માધવબાગમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
માધવબાગ સંકુલમાં પ્રખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 27 મે, 2025ના રોજ એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાથી કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
આ ખાસ પ્રસંગે કૅબિનેટ મંત્રી અને મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મંગલપ્રભાત લોઢા અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ હાજર રહેશે. આ સાથે મહારાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ હાજર રહેશે.આ ખાસ અવસરે મંદિરની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સંગીત નાટક અકાદમીનાં પ્રમુખ સંધ્યા પુરેચા અને ‘સરફોજીરાજે ભોસલે સંસ્થા’ને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને માધવબાગ ચૅરિટીઝના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ સવારે 10:00 વાગ્યે શરૂ થશે. આ દિવસે મહારાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો, નાગરિકો અને મહાનુભાવો હાજર રહે એવી શક્યતા છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર મુંબઈના પૌરાણિક, સામાજિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. માધવબાગ સંકુલનો ઈતિહાસ 150 વર્ષ પહેલાંનો છે, જ્યારે આ વિસ્તાર લાલબાગ તરીકે ઓળખાતો હતો. ઈસવી સન 1874માં કપોળ સમાજના બે અગ્રણી ઉદ્યોગપતિ વરજીવનદાસ માધવદાસ અને નરોત્તમ માધવદાસે એમના પિતાની યાદમાં એક ભવ્ય મંદિર સંકુલ બનાવવાનું નક્કી કર્યું અને જમીનનો મોટો પ્લૉટ ખરીદ્યો. પછી 1875માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના થઈ.
આ મંદિરનું નિર્માણ પોરબંદરના પથ્થરોનો ઉપયોગ કરીને પ્રખ્યાત વાસ્તુ વિશારદ્ શ્રી ભીમ રામજીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્થાપત્યની ઉત્કૃષ્ટ કૃતિ એવું આ મંદિર હજુ પણ મુંબઈમાં એક મુખ્ય પૂજાસ્થળ તરીકે ઓળખાય છે.શ્રી લક્ષ્મીનારાયણ મંદિર એનાં 150મા વર્ષને ઊજવી રહ્યું છે. આ તહેવાર ફક્ત એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને સામાજિક નેતૃત્વની લાંબી પરંપરાની ઉજવણી પણ છે.
