આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ, અમદાવાદમાં અમિત શાહે કરાવ્યો પ્રારંભ

દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઓપન પાર્ટી પ્લોટ ખાતેથી રાખવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં સૌથી પહેલા દેશની ત્રણેય પાંખના જવાનો અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા.

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાની કરાવી શરૂઆત

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા.


લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા

અમદાવાદના ઘાટલોડિયાથી નીકળેલી આ તિરંગા યાત્રામાં થનગનાટ છવાયો હતો. ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત થયા બાદ ઘાટલોડિયાનો કે.કે નગર રોડ તિરંગામય બન્યો હતો.ચારેકોર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર રોડ પર વંદે માતરમ્ અને ભારત માતા કી જયના લોકોએ નારા લગાવ્યા હતા. ચાણકયપુરી બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા લઈને ઉભા રહી ગયા હતા. તો કેટલાક લોકો આ તિરંગા યાત્રાને જોવા માટે બાલ્કની અને ધાબા પર ચઢી ગયા હતા. એટલું જ નહીં 1.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો, પોલીસકર્મીઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા હતા. આઝાદી પર્વ પહેલાની આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 1857થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આઝાદી પ્રાપ્ત થઈ છે. આઝાદી મળી તેની પાછળ લાખો કરોડો લોકોએ 90 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યાં હતાં. વીર સપૂત ભગતસિંહ, ખુદીરામ બોઝ, બાબુ કુંવર સિંઘ સહિત કેટલાંય વીર શહીદો હસતા હસતા ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે વીરગતિ પામ્યાં હતાં. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી. દેશના 75થી 100 વર્ષની આ યાત્રામાં સૌ દેશવાસીઓ દેશને દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે આપણું સંપૂર્ણ યોગદાન અર્પણ કરવા કટિબદ્ધ છીએ. આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે.

કાશ્મીરમાં તિરંગો શાનથી ફરકી રહ્યો છે

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતભેર કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો હતો. આજે આંતકવાદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવામાં સફળ થયા છીએ. દેશભરમાં પોલીસ દળો, સીઆરપીએફ, બીએસએફ, પેરા ફોર્સ સહિતના સુરક્ષા દળોએ આજે દેશનું ગૌરવ વધાર્યું છે. ગત વર્ષે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘરે ઘરે તિરંગો લહેરાયો હતો. આઝાદીના 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરતા આપણે 1 કરોડથી વધારે તિરંગા લહેરાવવાનું અભિયાન ગત વર્ષે ઉપાડ્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત તિરંગામય બન્યું હતું. આ વર્ષે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગત વર્ષની જેમ જ આન બાન શાનથી 1 કરોડથી વધુ તિરંગા લહેરાવવાનું આયોજન છે.