ઉંઝા APMC ચૂંટણી: 36 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો જંગ, 16 ડિસેમ્બરે મતદાન

ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા APMCની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે APMCની ચૂંટણી જીતવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રૂપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. ત્યારે ફોર્મ પરત ખેંચાયા બાદ 36 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે 16 ઉમેદવારોએ મોદાનમાં ઉતર્યા છે. ચૂંટણી સમરસ નહીં થાય તો આગામી 16મી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

ગત રોજ નવમી ડિસેમ્બરના APMCની ચૂંટણી માટેની ઉમેદવારી પત્રક પાછા ખેંચી લેવાની મુદત પૂરી થઈ છે. ત્યારે 36 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. તેમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે 20 અને વેપારીઓના પ્રતિનિધિ તરીકે 16 ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં સામાન્ય રીતે મેન્ડેટ અપાય છે. પરંતુ આ વખતે મેન્ડેડ મળ્યુ ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે આ ચૂંટણીમાં ભાજપના સભ્યોને બિનજરૂરી ફોર્મ ભરવાથી દૂર રહેવા કે ફોર્મ ભર્યા હોય તો પાછા ખેંચી લેવા સમજાવ્યા હતા. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદત પૂરી થઈ તે પહેલા તો 100થી વધુ જણાએ ફોર્મ ભર્યા હતા. આ ચૂંટણીમાં પછી APMC પર પોતાનું વર્ચસ્વ વધારવા દિનેશ પટેલ, કિરીટ પટેલ અને નારાણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલ ધમપછાડા કરી રહ્યા છે. તેમ જ પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એપીએમસીના પૂર્વ સચિવ વિષ્ણુ પટેલ પણ ચૂંટણીમાં સક્રિય બની પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે. જો કે આ તમામ પર ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણી માટે આગામી 16મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 મળીને કુલ 1066 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેકટર્સનું ભાવિ નિર્ધારીત કરશે. ત્યારબાદ બીજા દિવસે 17મી ડિસેમ્બરે મતગણતરીના અંતે પરિણામો જાહેર કરાશે.