રાજ્યમાં રસ્તે રખડતા ઢોરે બે યુવકનો ભોગ લીધો

અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિ મામ્ છે. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાનાં બાળકોથી લઈને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. ક્યાંક ગાયના આતંકથી કોઈએ જીવ ગુમાવવો પડે છે તો ક્યાંક આખલાની લડાઈમાં વાહનચાલકનું મોત થઈ જાય છે. હવે રખડતા ઢોરને કારણે રાજ્યમાં વધુ બે વ્યક્તિએ જીવ ગુમાવવા પડ્યા છે. અમદાવાદમાં રખડતા ઢોરને પગલે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે વડોદરામાં રખડતા ઢોરને કારણે પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વડોદમાં રખડતા ઢોરને કારણે 48 વર્ષીય જિગ્નેશ રાજપૂત નામની વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં  એરપોર્ટ સર્કલ પાસે એક 24 વર્ષીય યુવક બાઇક સાથે રસ્તા વચ્ચે ઊભેલી ગાય સાથે ટકરાયો હતો. ટક્કર બાદ યુવક રોડ પર પટકાયો હતો. યુવકનું ગઈ કાલે સારવાર દરમિયાન મોત થયું છે.

હજુ થોડા દિવસ પહેલાં જ રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ત્રિરંગા રેલી દરમિયાન ગાયે અડફેટે લીધા હતા. તેમને ઢીંચણમાં વાગ્યું હતું.

રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી નાયબ મુખ્ય પ્રધાનને રખડતા ઢોરે અડફેટે લીધા બાદ રાજ્ય સરકારેરખડતા પશુના મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્ય પ્રધાને શહેરી વિકાસ વિભાગને આદેશ કરતાં જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુથી અકસ્માતના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે.