ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોએ લીધા શપથ..

લોકસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પણ પેટાચૂંટણી થઈ હતી. આ તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે હવે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પાંચેય ધારાસભ્યોને પદના શપથ અપાવ્યા હતા. જેમાં વિજાપુરથી સી જે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતના ચિરાગ પટેલ, માણાવદરના અરવિંદ લાડાણી અને વાઘોડીયાના ધર્મેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ પાંચે ધારાસભ્યોએ આજે શપથ ગ્રહણ કર્યા.

લોકસભાની ચૂંટણીની સાથે જ 7 મેના રોજ  પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા, આ બેઠક પર દમાદાર જીત દાખવી હતી. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને 1,33,163 મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને 88,457 મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો, 1,00,641 મત મળ્યા હતા. સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક રહી હતી. આ બેઠક પરથી અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા હતા અને વિજય થયો હતો. નવા ધારાસભ્યો સાથે ભાજપનું સંખ્યાબળ હવે 161 પર પહોંચ્યુ છે.