19મી મોટીફ-ટીટેક (TTEC) ચેરિટી વૉક-2021નું 21મીએ વર્ચ્યુઅલ આયોજન

અમદાવાદઃ અમદાવાદના સોશ્યલ કેલેન્ડરમાં જેની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે 19મી વાર્ષિક મોટીફ-ટીટેક ચેરિટી વૉક આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. આ વૉકનો બેવડો ઉદ્દેશ આરોગ્ય અંગે જાગૃતિ અને જાહેર જનતાની સામેલગિરી મારફતે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ભંડોળ ઉભુ કરવાનો છે. મહામારીની સ્થિતને ધ્યાનમાં રાખીને આ વર્ષે આ વૉક વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાશે.

વર્ષ 2003માં ફન એક્ટીવિટી તરીકે શરૂ થયેલી આ ચેરિટી વૉક શહેરનો અત્યંત મહત્વનો અને ખૂબ જ પ્રતિક્ષા થતો ઈવેન્ટ બની ગયો છે અને દર વર્ષે તેમાં હજારો લોકો સામેલ થાય છે. વ્યક્તિગત યોગદાન આપનાર લોકો અને કોર્પોરેટ સ્પોન્સરશીપને કારણે આ વૉક તેના ઉદ્દેશો હલ કરવામાં અત્યંત સફળ રહી છે. વિતેલા 18 વર્ષમાં આ વૉકમાં 78,000થી વધુ લોકો તથા 265 સ્પોન્સર્સ સામેલ થયા છે અને 59 સ્વૈચ્છિક સંસ્થાઓ માટે રૂ.8.07 કરોડ એકત્ર કરવામાં સહાય થઈ છે.

ટીટેક ઈન્ડીયાના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર શ્રી કૌશલ મહેતા જણાવે છે કે “આ વર્ષે આ વૉક વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાવાની હોવાથી ભારતના તમામ 28 રાજ્યો અને ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ, કેનેડા, યુનાઈટેડ સ્ટેટસ તથા વિશ્વના વિવિધ દેશોના અમારા કર્મચારીઓ, મિત્રો, પરિવાર અને શુભેચ્છકોનો વ્યાપક સહયોગ મેળવવા માટે આશાવાદી છીએ. અમે ગયા વર્ષના રજીસ્ટ્રેશનનો આંકડો વટાવી ચૂક્યા છીએ અને માનવતાવાદી આ પ્રયાસને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને સતત સહયોગ મળવા અંગે આશાવાદી છીએ.”

મોટીફ-ટીટેક ચેરિટી વૉકની 19મી એડિશનમાં 5 કી.મી.ની વૉક અને 10 કી.મી.ની દોડનો સમાવેશ થશે. તા.21 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે તેની શરૂઆત થશે. સામેલ થવા ઈચ્છતા લોકો પોતાનું નામ વિવિધ પેમેન્ટ વૉલેટસ, ટાઉનસ્ક્રીપ્ટ અથવા બુકમાયશો ઉપર ઓનલાઈન નોંધાવી શકશે. લઘુતમ રજીસ્ટ્રેશન ફી રૂ.300 રાખવામાં આવી છે. એમાં ટીટેક એટલી જ રકમ (રૂ.17.5 લાખ સુધી) નો ઉમેરો કરશે.

19મી વાર્ષિક ચેરિટી વૉકની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ નીચે મુજબ છેઃ

  • આધાર ચેરિટેબલ ટ્રસ્ટ (આધાર)- વર્ષ 2002મા સ્થપાયેલી આ સંસ્થા કલાકસબીઓને તેમની રોજગારી ટકાવી રાખવામાં સહાય કરવાની તક પૂરી પાડે છે અને તે અંગે કાર્યક્રમો યોજે છે. આ ઉપરાંત આ સંસ્થા ભારતના સામુહિક, સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવાની કામગીરી કરે છે.- 80 (G)
  • ગ્રામ સ્વરાજ સંઘ- 1979માં સ્થપાયેલ આ સંસ્થા કચ્છના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે કામ કરીને તેમને શિક્ષણ, આરોગ્ય, લોકશક્તિકરણ, ગ્રામોધ્ધાર, પર્યાવરણની જાળવણી, કુદરતી આફતો અને રાહત પ્રવૃત્તિઓમાં દૂરગામી અસર પેદા કરે તેવી સહાય કરે છે. 80 (G)
  • યજ્ઞનાંજલિ કેળવણી ટ્રસ્ટ- 1974માં સ્થપાયેલી આ સંસ્થા આર્થિક રીતે પછાત વર્ગો તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા પરિવારોના બાળકો માટે શાળા અને હોસ્ટેલનું સંચાલન કરે છે, આશ્રયગૃહ પૂરાં પાડે છે. તક્તા, વિધવા અને સામાજીક આપત્તિ ધરાવતી મહિલાઓને રોજગારી અને કલ્યાણ માટે કામ કરે છે. 80 (G)