સરકારી સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું શિક્ષણઃ સરકાર દ્વારા સિલેબસ જારી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે સરકારી સ્કૂલોમાં ભગવદ્ ગીતાના સારનું શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલનાં બાળકો માટે રાજ્યના શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે એનો અભ્યાસક્રમ જારી કરી દીધો છે. તેમણે દાવો કર્યો હતો કે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 હેઠળ એનો અમલ કરવામાં આવશે.  આ વર્ષે 22 ડિસેમ્બરે, 2023એ માગશરના શુક્લ પક્ષે મોક્ષદા અગિયારસે ગીતા જયંતી ઊજવવામાં આવે છે, એ પ્રસંગે રાજ્ય સરકારે ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે શ્રીમદભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે એનાથી બાળકોના સ્કૂલના જીવનથી જ ભગવદ્ ગીતાના પાઠ શીખશે, જેનાથી જીવન જીવવાનો નવો પ્રકાર શીખશે. ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ નહીં, પણ બધા ધર્મોનો સાર છે. એ જીવન જીવવાની એક કલા છે અને 700 શ્લોકોનો સાર બાળકો શીખશે.

ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે.