સુરત: ગુજરાતમાં દિવસે-દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ફરી એક વખત રવિવારે મોડી રાત્રે રાજસ્થાનથી સુરત જતી ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરત જતી ખાનગી ટ્રાવેલ્સ બસ સિદ્ધપુરના મક્તુપુર નજીક ટ્રેલર પાછળ ઘૂસી જતા બેના મોત નીપજ્યા છે, તો 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે મહેસાણા-ઉંઝા હાઇવે પર સિદ્ધપુરના મક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બોલતરાથી સુરત તરફ જઇ રહેલી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ઘૂસી જતા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને મહેસાણા, ઊંઝા અને ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત મૃત્યું પામેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
