ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરત

ગાંધીનગર: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્યભરમાં ઉમેદવારોમાં આક્રોશ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી (વર્ગ-3)ની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. આ ભરતીની વિગતવાર જાહેરાત આજે સાંજ સુધીમાં GSSSBની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in અથવા https://ojas.gujarat.gov.in પર મૂકવામાં આવે તેવી સંભાવના છે. આ ભરતી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તલાટીઓની ઘટને પૂરવા અને વહીવટી કામગીરીને વેગ આપવા માટે મહત્વનું પગલું ગણાય છે.

રાજ્યના ગામડાઓમાં હાલ તલાટીઓની ગંભીર ઘટ જોવા મળે છે, જેના કારણે એક તલાટીને ત્રણથી ચાર ગામોનો વહીવટ સંભાળવો પડે છે. આ સ્થિતિને નિયંત્રણમાં લેવા અને યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા, રાજ્ય સરકારે આ મોટી ભરતીની જાહેરાત કરી છે. GSSSBએ અગાઉ 24 એપ્રિલ, 2025ના રોજ એક પત્રમાં જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ હેઠળ લગભગ 2300 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હવે આ સંખ્યા વધીને 2389 જગ્યાઓ સુધી પહોંચી છે, જે ઉમેદવારો માટે સોનેરી તક બની રહેશે. ભરતીની પસંદગી પ્રક્રિયામાં પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમાવેશ થશે. ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે GSSSBની વેબસાઈટની મુલાકાત લેવી પડશે, અને અરજીની તારીખો સહિતની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ ભરતી રાજ્યના યુવાનો માટે રોજગારની નવી આશા જગાવે છે, પરંતુ GPSCની ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલો વિવાદ અને જાતિગત આક્ષેપોના વાતાવરણમાં સરકાર આ ભરતી દ્વારા ઉમેદવારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉની ભરતીઓના આધારે, ઉમેદવારોએ ધોરણ 12 પાસ હોવું જરૂરી છે, અને ગુજરાતી કે હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન તેમજ કમ્પ્યૂટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષની વચ્ચે હશે, જેમાં અનામત વર્ગો માટે નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને લગભગ રૂ. 19,950નો માસિક પગાર મળવાની શક્યતા છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સત્તાવાર વેબસાઈટ પર નજર રાખે અને પરીક્ષાની તૈયારી શરૂ કરે.